‘કુમાર’ અને રવિશંકર મહાશંકર રાવળ
‘‘જગતના દીપોત્સવમાં દેશદેશના માનવો આત્મકલાની જ્યોતિઓ આગળ ધરશે તે વખતે ગુજરાતના કુમારો શું અંધકારમાં શૂન્યમુખ થઈ ઉભા રહેશે ? એ વિચાર જ અસહ્ય છે. એ ભયંકર નિરાશા ભાંગવાનો આ એક પવિત્ર પ્રયાસ છે.
આપણું પ્રાચીન ગૌરવ, ઋષિવરોનાં આત્મદર્શનો, આપણી સંસ્કૃતિનો પ્રભાવ, સંતોની પ્રાણ પોષતી પ્રસાદીઓ, કલાની રસભરી કૃતિઓ, કુદરતની ભવ્ય લીલા, વિશ્વની ચમત્કૃતિઓ, નવી દુનિયાની વૈજ્ઞાનિક અજાયબીઓ, હુન્નરઉદ્યોગના નુસખાઓ અને વિનોદની વાનીઓ —આ સૌ શોધી, સંઘરી, માગી આણીને પણ સુંદર, નિર્દોષ સ્વરૂપમાં આપવું એ અમારો સંકલ્પ છે.’’ —ર.મ.રા. નો નિર્ધાર
———————————————————–
—જેમ વિષાદના પરિણામે મહર્ષિ વાલ્મિકી પાસેથી રામાયણની ભેટ મળી તેમ કલાગરુ શ્રી રવિશંકર રાવળ પાસેથી આપણને ‘કુમાર’ મળ્યું
‘‘ગુજરાતના કુમારો શું અંધકારમાં શૂન્યમુખ થઈ ઉભા રહેશે ?’’ એ એમનો વિષાદ હતો. શાશ્વત રામાયણની જેમ ગુજરાતના કુમારોને મુરબ્બી શ્રી રવિભાઈએ ‘કુમાર’ આપ્યું તે પણ શાશ્વત છે. સદાકાળ જીવંત છે, જીવનનું પાઠ્ય-પુસ્તક છે.
ઈ.સ.1924ના વર્ષનો સમય કેવો હશે તે કલ્પના કરીએ ત્યારે સમજાય કે અખૂટ પ્રયાસો આદરીને એ વિષાદને સકારાત્મકરૂપ આપી ‘કુમાર’નું કલેવર ઘડ્યું; અભિગમ સ્પષ્ટ હતો. આપણું ગૌરવ, ઋષિઓનું ચિંતન, અધ્યાત્મભરી સંસ્કૃતિ, કળા અને કુદરતની સમૃદ્ધિ અને દુનિયાભરની વાતો, કશું જ બાકી ન રહી જાય એવી ચિવટથી એક પછી એક અંકો પ્રગટ થતાં રહ્યા. ‘કુમાર’ના એક એક અંકો સાક્ષી છે કે મુરબ્બી શ્રી રવિભાઈએ એમાં પોતાનો પ્રાણ પાથર્યો છે.
મારા સદ્-ભાગ્યે હું આઠ-નવ વર્ષની વયે ‘કુમાર’ વાંચતો થયો, એ થકી મારું જીવન ઘડાતું રહ્યું. ‘કુમાર’ ચીંધ્યા રસ્તે ચાલતો રહ્યો. આશરે 55-60 વર્ષ પહેલાં તેઓશ્રી મારા ઘરે (સુરેન્દ્રનગર) પધારેલા ત્યારે તેમણે મારો સ્કેચ દોરેલો જે મારે મન મહામૂલું સંભારણું છે.
કલાગુરુએ આદરેલ આ યજ્ઞ હવે ‘કુમારકોશ’ સ્વરૂપે અલ્લાદીનના ચિરાગની જેમ એક પલકારામાં માગ્યું આપવા તૈયાર છે….
note : If you are an Art lover, visit my father late Kalaguru Ravishankar Raval’s web site: http://ravishankarmraval.org/
Dr.Kanak R.Raval,
તાજેતરની ટિપ્પણીઓ